Earthquake Live Updates: ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં 5000 થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 21,103 થી વધુ લોકો ઘાયલ થયા છે.
તુર્કીના ભારત સ્થિત રાજદૂતે કહ્યું, તુર્કીમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, બે કલાક પછી તુર્કીમાં 7.6ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. દક્ષિણપૂર્વ તુર્કીમાં 14 મિલિયનથી વધુ લોકો અસરગ્રસ્ત છે, તે મોટી આપત્તિ છે. 21,103 ઘાયલ, લગભગ 6000 ઇમારતો ધરાશાયી, 3 એરપોર્ટને નુકસાન થયું છે.
કોલેજો અને યુનિવર્સિટીને શેલ્ટરમાં ફેરવવામાં આવશે
તુર્કીના વાઈસ પ્રેસિડેન્ટે કહ્યું, કોલેજો અને યુનિવર્સિટીને શેલ્ટરમાં ફેરવવામાં આવશે. 84 દેશો કરશે બચાવ કામગીરી, 14 દેશોની ટીમ પહોંચી છે, 70 દેશોની ટીમો રસ્તામાં છે.
તુર્કી બાદ રશિયામાં પણ ભૂકંપ
તુર્કી બાદ રશિયામાં પણ 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. તુર્કીમાં ભૂકંપ બાદ તબાહી મચી છે.
પાકિસ્તાને રાહત સામગ્રી લઈને જતાં ભારતીય પ્લેનને ન આપી મંજૂરી
ભારતે દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓ સાથે NDRF અને મેડિકલ ટીમ સાથે એક વિમાન તુર્કી મોકલ્યું છે. પાકિસ્તાને આ વિમાનને તેની એરસ્પેસમાંથી પસાર થવા દીધું ન હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત દ્વારા તુર્કી મોકલવામાં આવેલા હેલ્પ પ્લેનને પાકિસ્તાનની ઉપરથી ઉડવાની મંજૂરી ન અપાયા બાદ પ્લેન પોતાનો રૂટ બદલીને અરબી સમુદ્ર થઈને તુર્કી તરફ ગયું હતું. જો પાકિસ્તાને આ વિમાનને તેની એરસ્પેસમાંથી પસાર થવા દીધું હોત તો મદદ લઈને જઈ રહેલું ભારતીય વિમાન ઓછા સમયમાં તુર્કી પહોંચી શક્યું હોત.
Earthquake Live Updates
તુર્કીના ભૂકંપના આંચકા પાંચ હજાર કિ.મી. દૂર ગ્રીનલેન્ડ સુધી અનુભવાયા : તુર્કીમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવીઃ તુર્કીમાં તબાહીના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે.
સૌથી વધુ વિનાશ દક્ષિણ તુર્કી અને ઉત્તર સીરિયામાં થયો છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. જાનહાનિમાં વધારો થવાની ધારણા છે કારણ કે બચાવકર્તા હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધી રહ્યા છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ ૧૯૩૯માં તુર્કીમાં ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૩૨ હજારથી વધુ લોકોના મોત થયા હતા.
પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં તુર્કીમાં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કર્યો
સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં ભૂકંપ બાદ ભારત દ્વારા આપવામાં આવેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ મદદ વિશે માહિતી આપી.
તુર્કી પ્રશાસને લોકોને સડકો ખાલી રાખવા અપીલ કરી
તુર્કી પ્રશાસને લોકોને સડકો ખાલી રાખવા અપીલ કરી છે. તુર્કી ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે, જરૂર ન હોય તો સડક પર નીકળશો નહીં, જેથી ઈમરજન્સી વાહનોનો ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં વિલંબ ન થાય.