- મેંદરડા બાદ હવે કેશોદમાં પણ કોરોનાનો પગપેસારો
- જિલ્લામાં શુક્રવારે 18,881 લોકોને કરાયું વેક્સિનેશન
જૂનાગઢ જિલ્લામાં મેંદરડા બાદ હવે કેશોદમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ હોય આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આમ, કોરોનાની મહામારીમાંથી છૂટકારો માનીને બેદરકાર રહેવું જોખમી બની શકે છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાંથી જાણે કોરોનાએ વિદાય લીધી હોય તેમ કેસ આવતા બંધ થયા હતા. જોકે, લાંબા સમય બાદ 5 ઓકટોબરના મેંદરડામાં 1 કેસ કોરોના પોઝિટીવ નોંધાયો હતો અને એ જ દિવસે કોરોનાથી 1 દર્દીનું મોત થયું હતું. બાદમાં ત્રીજા દિવસે એટલે કે 8 ઓકટોબરે કેશોદમાં 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. પરિણામે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
આ દર્દીને કઇ રીતે કોરોના પોઝિટીવનો ચેપ લાગ્યો તેમજ આ દર્દી કોના કોના સંપર્કમાં આવ્યો હતો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી સંક્રમણને ફેલાતું અટકાવવા શક્ય એટલા તમામ પ્રયાસો કરી શકાય. દરમિયાન જે લોકો કોરોનાથી બેખૌફ બનીને કોરોના મહામારીથી છૂટકારો મળ્યો છે તેમ માની માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ વગેરે કોરોનાની ગાઇડ લાઇનનો ઉલાળીયો કરી રહ્યા છે તે સામે ચાલીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે.
દરમિયાન શુક્રવારે જૂનાગઢ મનપાના શહેરી વિસ્તારમાં 2,614 અને ગ્રામ્ય વિસ્તારમાં 16,267ને મળી એક જ દિવસમાં કુલ 18,881ને રસીકરણ કરાયું છે. અત્રે નોંધનીય છેકે, કોરોનાની બીજી લહેર બાદ વ્યાપકપણે અને સઘનરીતે રસીકરણ ઝૂંબેશ હાથ ધરાયા બાદ કથિત ત્રીજી લહેરની ભિતી ઓછી થઇ ગઇ છે. ત્યારે 2 કેસ આવતાં તકેદારી જરૂરી બની છે.